કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની મુશ્કેલી વધી: જાતીય શોષણના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યું, તપાસ આગળ વધતી નહોવાનો અરજદારનો દાવો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_133943_Cm of Karnataka.webp)
- 13 Jun, 2024
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાની મુશ્કેલીઓ વધી શકે છે. બેંગલુરુની એક કોર્ટે ગુરુવારે POCSO કેસમાં તેમની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ સંજોગોમાં તેમની ધરપકડ થવાની શક્યતા છે. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તેમની સામે ધરપકડ વોરંટની માંગણી સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટનો સંપર્ક કર્યો હતો કારણ કે તેઓ બુધવારે પૂછપરછ માટે હાજર થયા નહોતા.
યેદિયુરપ્પાએ તપાસમાં સામેલ થવા માટે સમય માંગ્યો હતો.ભાજપના દિગ્ગજ નેતા, જેઓ પાર્ટીના સંસદીય બોર્ડના સભ્ય પણ છે, હાલમાં દિલ્હીમાં છે અને તેમના પરત ફર્યા બાદ તેઓ તપાસમાં જોડાય તેવી શક્યતા છે. વોરંટ જારી થયા પછી તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી આવતીકાલે શુક્રવારે થશે.પોલીસના જણાવ્યા અનુસાર, યેદિયુરપ્પા પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ અને આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસ 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે, જેમણે આરોપ લગાવ્યો હતો કે યેદિયુરપ્પાએ આ વર્ષે 2 ફેબ્રુઆરીએ એક મીટિંગ દરમિયાન તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સદાશિવનગર પોલીસે 14 માર્ચે કેસ નોંધ્યાના થોડા કલાકો પછી પોલીસ મહાનિર્દેશક આલોક મોહને તાત્કાલિક અસરથી વધુ તપાસ માટે આ કેસ CIDને સોંપવાનો આદેશ આપ્યો હતો.
યેદિયુરપ્પા પર આક્ષેપો કરનાર 54 વર્ષીય મહિલાનું ગયા મહિને ફેફસાના કેન્સરને કારણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. જોકે 81 વર્ષીય યેદિયુરપ્પાએ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ આ કેસ કાયદાકીય રીતે લડશે. પીડિતાના ભાઈએ આ સપ્તાહની શરૂઆતમાં કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 14 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હોવા છતાં તપાસ આગળ વધી નથી. અરજદારે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું છે કે કે યેદિયુરપ્પાની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરવામાં આવે.